સોક્રેટીસનું સંપૂર્ણ જીઅવન સરળ, સાદું ને સેવાભાવી હતું. તે બુદ્ધિશાળી, સ્વતંત્ર વિચારસરણી ધરાવનાર અને ઊંડો તત્વચિંતક હતો. તેના સમય દરમિયાન, એથેન્સ રાજ્ય, બાજુનાં સ્પાર્ટા રાજ્ય સાથે લાંબી લડાઈમાં ઊતર્યું હતું ને એ લડાઈ જીત્યું હતું. લડાઈની અસર હેઠળ એથેન્સવાસીઓ મહેનતના કામને હલકું અને રાજકાજનાં કામને આબરુંવાળાનું કામ માનતા થયેલા. પરંતુ સોક્રેટીસ માનતો ને કહેતો કે, માણસ જો પોતાને ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય, તેમાં કોઈ શરમ નથી, શરમ તો એદીપણામાં છે; કામ ના કરવામાં છે.
ખાવા વિશે પણ સોક્રેટીસનાં વિચારો બધાથી અલગ હતા. તે કહેતો કે “સૌ ખાવા માટે જીવે છે, પણ હું જીવવા માટે ખાઉં છું.”
અન્ય દરેક બાબત અંગે પણ સોક્રેટીસ સ્વતંત્ર રીતે ને ઊંડાણપૂર્વક વિચારતો અને તેને જે સાચું લાગે તે જ કહેતો અને કરતો.
એથેન્સના યુવાવર્ગ પર આની ઘેરી અસર થઈ; જે કેટલાક આગેવાનોને ન ગમતું. સોક્રેટીસ વિરૂદ્ધ, આ લોકોએ આરોપ મુક્યા અને એમના આરોપસર સોક્રેટીસને મૃત્યુદંડની સજા થઈ. જે તેણે કોઈ પણ પ્રકારના વિરોધ કે કચવાટ વગર સ્વીકારી.
સોક્રેટીસ તેના મિત્રોને કહેતો કે, હું એથેન્સમાં જન્મ્યો છું, મેં જીવનભર અહીંના તમામ લાભો માણ્યા છે ને અધિકાર ભોગવ્યા છે. મને થયેલી સજાના કારને તમે દુઃખી થઈને ચોરી-છૂપીથી મને ભગાડી જવાની યોજના બનાવો, તે મને માન્ય નથી. આ વિચાર માટેના કારણ જણાવતા સોક્રેટીસનાં ઉદગારો નીચે મુજબ હતા.
- એથેન્સનો કાયદો ભલે મને અન્યાય કરતો હોય, તેથી મારે પણ અન્યાય કરવો, એ યોગ્ય નથી.
- જૂઠાણાનો જવાબ જૂઠાણાથી આપવો, પાપનો સામનો પાપથી કરવો એ વાજબી નથી.
- તમારી યોજના મુજબ હું નાસી જાઉં તો શહેરના તમામ કાયદાઓના પાયાનો મેં તિરસ્કાર કર્યો કહેવાય.
આવા સ્વતંત્ર અને સાત્વિક વિચારસરણીના ફળસ્વરૂપે સોક્રેટીસે મૃત્યુદંડની સજા કોઈ પણ પ્રકારના વિરોધ વગર સ્વીકારી.