લઘુચિત્રોની પરંપરા એ ભારતની પ્રાચીન ચિત્રકલાની પરંપરાનો મુખ્ય ભાગ હતો. લઘુચિત્રો એટલે નાના કદનાં ચિત્રો. તે કાગળ અને કાપડ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતાં. ખૂબ જૂનાં લઘુચિત્રો તાડપત્રો અને કાષ્ટ (લાકડા) પર મળી આવ્યાં છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે. આ ઉપરાંત, મહાભારત અને પંચતંત્ર જેવા અનુવાદિત ગ્રંથોમાં તેમજ અબુલફઝલે લખેલી અકબરની આત્મકથા ‘ અકબરનામા'માં ખૂબ સુંદર ચિત્રો જોવા મળે છે. લઘુચિત્રોના મુખ્ય વિષયોમાં રાજદરબારનાં, યુદ્ધનાં, શિકારનાં અને સામાજિક જીવનનાં દશ્યો હતાં. આ પ્રકારનાં ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતાં. બાદશાહો અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા. ગુજરાતમાં ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારમાં સંગૃહીત હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે. એ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સામાજિક જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે.